નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું સારા પ્રમાણમાં વાવેતર થયા છે. ડાંગરનો પાક વર્ષમાં બે વાર, ચોમાસું અને ઉનાળુમાં લેવાતો હોય છે. આ વખતે ડાંગરાના સારા ભાવ મળશે એવી આશાએ ખેડૂતોએ મોટા પ્રણામાં વાવેતર કર્યું હતું. પરંતુ વાતાવરણમાં પલટો આવ્યા બાદ માવઠું પડતા ડાંગરના પાકને નુકસાન થયું હતું. ઘણાબધા ખેડુતોએ ડાંગરના પાકને ઢાંકીને બચાવી લીધો હતો. ત્યારબાદ ઉઘાડ નિકળતા ડાંગરના પાકને સુકવ્યો હતો, હવે જ્યારે ખેડૂતો ડાંગરના પાક વેચવા માટે જાય છે. ત્યારે વેપારીઓ ખરીદવા તૈયાર થતા નથી. વેપારીઓ ડાંગરમાં ભેજ હોવાનું કહીને ખરીદવાની ના પાડી રહ્યા છે.

નવસારી જિલ્લામાં કેરીના પાકને નુકસાન થયું હતું. હવે ડાંગરના પાકને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકમાં ભેજ વધુ હોવાનું કહી વેપારીઓ ખરીદતા નથી. તેમજ ગત વર્ષ કરતાં ભાવ પણ ઓછા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે. કુદરતી આફત અને વેપારીઓની મનમાની, આ બંને પરિબળોએ ખેડૂતોને કઠિન પરિસ્થિતિમાં મૂક્યા છે. નવસારી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી આંબાના પાક અને ડાંગર ખેતીને ભારે નુકસાન થયું છે. તે ઉપરાંત, વેપારીઓની મનમાનીને કારણે પણ ખેડૂતો પરેશાન છે.

નવસારી જિલ્લામાં ડાંગરનો પાક વર્ષમાં બે વાર, ચોમાસું અને ઉનાળુ દરમિયાન લેવામાં આવે છે. આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડુતોને મોટો લાભ થવાની આશા હતી. પરંતુ, છેલ્લા બે વર્ષથી કુદરતી આફતનો સામનો કરી રહેલા ખેડૂતોને આ વર્ષે પણ રાહત મળવાની આશા ફળી નથી. મે મહિનાથી શરૂ થયેલા કમોસમી વરસાદે જાણે ચોમાસું વહેલું લાવી દીધું હોય તેવી પરિસ્થિતિ સર્જી છે. તોફાની પવન અને ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાક લટકી ગયા હતા. જ્યાં પાકને ઓછું નુકસાન થયું હતું, ત્યાં ખેડૂતોને કાપણીની ચિંતા સતાવી રહી હતી. વરસાદી માહોલ વચ્ચે થોડો ઉઘાડ નીકળતા, ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને ડાંગરના પાકને  બચાવી લીધો હતો. પરંતુ હવે વધુ મોટી સમસ્યા ઊભી થઈ છે. ભેજ વધુ હોવાને કારણે ડાંગરનું વેચાણ કરવાનો પ્રશ્ન ખેડૂતો માટે એક મોટી ચિંતા બની છે.  સામાન્ય રીતે ખેડૂતો ડાંગર સહકારી મંડળીઓ, સંઘ, જીન અને પૌવા મિલો તેમજ વેપારીઓને વેચતા હોય છે. વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે. પરંતુ, છેલ્લા 3 દિવસથી વેપારીઓ ભેજનું પ્રમાણ વધુ હોવાનું બહાનું કાઢીને ખરીદી નથી કરી રહ્યા. જેનાથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન બન્યો છે.  ગયા વર્ષે 18 ટકા ભેજ હોવા છતાં ડાંગરને સારા ભાવ મળતા હતા, પરંતુ આ વર્ષે વેપારીઓ 16 કે 14% ભેજ હોય ત્યારે જ ખરીદી કરે છે. અગાઉના 3,400 રૂપિયાના ભાવની તુલનામાં હવે 2,400 થી 2,500 રૂપિયાના ભાવ મળે છે. પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો ડાંગરને સુકાવવા મજૂરી ખર્ચ કરી રહ્યા છે, છતાં સંઘ કે મંડળીઓમાં ભેજ જણાય તો ડાંગર પરત કરી દેવામાં આવે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here