જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા અને યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ એસિડ પી લેતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને સમગ્ર મામરામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા અને બેડી વિસ્તારમાં હેર કટિંગની દુકાન ચલાવતા લલિત ચંદુભાઈ સુરાણી નામના28 વર્ષના વાણંદ યુવાને ગઈકાલે મોડી સાંજે એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને તેને લોહીની ઉલટીઓ થતાં તબીબો દ્વારા તેની ઘનિષ્ઠ સારવાર કરાઈ રહી છે, અને તેને લોહીના બાટલા પણ ચડાવવામાં આવી રહ્યા છે.પોતે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો હોવાથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જેથી સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલમાં દોડતો થયો હતો, અને આ મામલામાં ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.







