ગાંધીનગરઃ  નેશનલ હાઈવે પરના મોટા ચિલોડા સર્કલ ઉપર દબાણોના કારણે ટ્રાફિકની ભયંકર સમસ્યા જોવા મળી રહી છે. સર્કલ આજુબાજુ ભારે દબાણોને લીધે રોડ સાંકડો બનતા ટ્રાફિકજામની સમસ્યા હવે તો રોજિંદી બની ગઈ છે. તંત્ર દ્વારા સર્કલ આજુબાજુના ગેરકાયદે દબાણો હટાવવામાં આવે તેમજ સર્કલ ખૂબ મોટું હોવાથી તેને નાનું કરવામાં આવે તો જ ટ્કાફિકની સમસ્યાનો અંત આવી શકે તેમ છે.

ગાંધીનગર તાલુકાના મોટા ચિલોડા સર્કલ ઉપર રોજના અસંખ્ય વાહનો અવરજવર કરી રહ્યા છે. સર્કલ ઉપર હિંમતનગરથી અમદાવાદ તરફ જવા માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનો મોટા પ્રમાણમાં વાહન ચાલકો ઉપયોગ પણ કરી રહ્યા છે, છતાં ઓવરબ્રિજના નીચેથી પસાર થતા રોડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જાણે સામાન્ય બની ગયા છે. સર્કલ ઉપર હોમગાર્ડ મૂકવામાં આવી રહ્યા છે, તેમના દ્વારા ટ્રાફિકનું સંચાલન પણ કરવામાં આવે છે, છતાં પણ આ સમસ્યાનો કાયમી નિરાકરણ આવતું નથી.

ગાંધીનગરથી દહેગામ અને હિંમતનગર તરફ જવા માટે ચિલોડા સર્કલનો ઉપયોગ થઈ રહ્યો છે. સર્કલ ઉપર ભારે ટ્રાફિક જામની સ્થિતિને કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે સર્જાતી આ સમસ્યા વચ્ચે તહેવારોમાં તે ખૂબ જ ગંભીર બની જાય છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે પણ અહીં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. નજીકમાં જ પોલીસ સ્ટેશન છે, પરંતુ દબાણો નહીં હટવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ નિવારી શકાતી નથી. અગાઉ અહીં રખડતા ઢોરોની સમસ્યા સર્જાઇ હતી. ચિલોડાના સર્કલને નાનુ કરવાની પણ જરૂરિયાત છે સાથે સાથે સર્કલની આજુબાજુમાં આવેલા દબાણ અને કાયમી ધોરણે હટાવવા જોઈએ. ઉલ્લેખનિય છે કે, અગાઉ આ વિસ્તારના પશુપાલકોને પોલીસ દ્વારા માર્ગો ઉપર ઢોર રખડતા નહીં મૂકવા માટે તાકીદ કરાઈ હતી. આ જ પ્રકારે હવે દબાણ હટાવવા માટે પણ તંત્રની સાથે મળીને પોલીસે પણ કડક પગલાં ભરવાની તાતી જરૂરિયાત લાગી રહી છે. રાજસ્થાન સાથે જોડતો આ હાઇવે માર્ગ પર હોવાથી નાના વાહનોની સાથે મોટા ટ્રકો પણ અહીંથી જ પસાર થતા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સમયસર ઉકેલી દેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here