અમદાવાદ, 13 નવેમ્બર, 2025: Guru Golwalkarji on casteism in Hindu society ગુરુ ગોળવળકરજી માનતા કે હિન્દુ સમાજમાંથી જાતિવાદને સાધુ-સંતો દૂર કરી શકે, તેમ આરએસએસના સહકરકાર્યવાહ મુકુંદજીએ અહીં જણાવ્યું હતું. તેઓ બુધવારે ભારતીય વિચારમંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં બોલી રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અમદાવાદમાં યોજાઈ રહેલી ચાર દિવસની વ્યાખ્યાનમાળાના બીજા દિવસે 12 નવેમ્બરને બુધવારે સહસરકાર્યવાહ મુકુંદજીએ સંઘના બીજા સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોળવળકર વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું. મુકુંદજીએ ગુરુજી તરીકે ઓળખાતા ગોળવળકરજીના 33 વર્ષના કાર્યકાળની કામગીરી અને સમાજ ઉપર ગુરુજીના પ્રભાવ વિશે માહિતી આપી હતી.
ભારતીય વિચારમંચ દ્વારા આયોજિત આ વ્યાખ્યાનમાળા ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હૉલમાં યોજાઈ રહી છે. ગઈકાલે બીજા દિવસે આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, મહંતો, વૈષ્ણવ મહંતો, કથાકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આર.સી. ફળદુ, ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભૂતપૂર્વ મંત્રી માયાબેન કોડનાની, ધારાસભ્ય અમીત ઠાકર, ઓર્ગેનાઈઝરના તંત્રી પ્રફુલ કેતકર, ભાજપના અન્ય અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુકુંદજીએ ગુરુ ગોળવળકરનો ટૂંકો પરિચય આપ્યા બાદ તેમની નિશ્રામાં સંઘે દેશના અન્ય ક્ષેત્રોમાં કરેલો વિસ્તાર અને સંગઠનની કામગીરી વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે, ગુરુજી રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા હતા અને ત્યાં તેમણે ત્રણ દિક્ષા લીધી હતી. ત્યારપછી ડૉ. હેડગેવારજીએ ગુરુજીને સંઘનું દાયિત્વ સોંપ્યું.







