ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને ઓછી કિંમતે વીજળી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જુલાઈ ૨૦૨૫થી વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.ગુજરાત સરકાર દ્વારા 1 જુલાઈ ૨૦૨૫થી વીજળીના વપરાશ પર લાગતો ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે.આ દર ગુજરાત વીજળી નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાથી રાજ્યના લગભગ ૧.૭૫ કરોડ ગ્રાહકોને ફાયદો થશે. જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન વીજળીના બિલમાં ૪૦૦ કરોડથી વધુની બચત થવાની અપેક્ષા છે.જાન્યુઆરી ૨૦૨૪થી ફ્યુઅલ સરચાર્જનો દર પ્રતિ યુનિટ ૩.૩૫ થી ઘટાડીને ૨.૮૫ કરવામાં આવ્યો હતો, જે ૫૦ પૈસાનો ઘટાડો હતો. આ રાહતને આગળ વધારતા ઓક્ટોબર ૨૦૨૪થી આ દરમાં વધુ ૪૦ પૈસાનો ઘટાડો કરીને ૨.૪૫ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો.૨૦૨૫-૨૬ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન ૨૦૨૫) દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૨.૪૫ જ રહ્યો હતો. હવે રાજ્ય સરકારે વર્તમાન ફ્યુઅલ સરચાર્જને પ્રતિ યુનિટ વધુ ૧૫ પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.







