ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો આજે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ તેમજ ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. આ શુભારંભ સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ઈ-જર્નલ’ તેમજ ‘સ્ટેટ કોલાબોરેટીવ ઈનીશીયેટીવ પોર્ટલ” લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે આ પરિષદની સુવ્યવસ્થિત યજમાની કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતને સુશાસનનું વિશ્વાસપાત્ર મોડલ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, સુશાસન અને સુશાસનીક વ્યવસ્થા અંગે ગોષ્ઠી કે પરિષદનું આયોજન કરવા માટે ગુજરાતથી શ્રેષ્ઠ દેશમાં અન્ય કોઈ વિકલ્પ ન હોઈ શકે. ૯૦ના દાયકામાં કોઈપણ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવું હોય તો, ગુજરાતમાં IIM-અમદાવાદ ઉપરાંત કોઈ વિકલ્પ ન હતો. આજે એ જ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક પરિષદોનું સુદ્રઢ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શક્ય બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની આ રાષ્ટ્રીય પરિષદનું અલગ-અલગ રાજ્યમાં આયોજન કરવાની પ્રેરણા આપી હતી. જેની ફલશ્રુતિરૂપે દેશના અનેક રાજ્યોમાં આ પરિષદનું આયોજન થઇ ચૂક્યું છે. પરંતુ ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ પરિષદોનું સતત આયોજન થઇ રહ્યું છે. ગુજરાત માત્ર માળખાકીય સુવિધાઓ જ નહિ, પરંતુ ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્યો માટે દીવાદાંડી સમાન છે. ઓનલાઈન સેવાઓ, પોર્ટલ, ડેશબોર્ડ જેવી અનેક સુવિધાઓ વિકસાવવામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે.
વડાપ્રધાનના ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ’ના મૂળમંત્રને ચરિતાર્થ કરવા માટે ભારત સરકાર નાગરિકોને કેન્દ્રમાં રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરી રહી છે. સાથે જ, ભારત સરકારની ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરેન્સ નીતિ અને સમયબદ્ધ આયોજન થકી નાગરિકોને મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સની અનુભૂતિ થઇ રહી છે, તેમ કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ સંદર્ભે મંત્રીશ્રીએ કેટલાક ઉદાહરણો પણ પ્રસ્તૂત કર્યા હતા.