[અલકેશ પટેલ], અમદાવાદ. 28 ફેબ્રુઆરી, 2026 – A state level seminar on translation ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ છે. ગુજરાતી સાહિત્યમાં આપણી પાસે ઘણો ખજાનો છે અને અહીં ઉપસ્થિત દરેક પ્રાધ્યાપક ઓછામાં ઓછી એક કૃતિનો અંગ્રેજી અનુવાદ કરે તે ઈચ્છનીય છે, તેમ એમ.પી. આર્ટ્સ એન્ડ એમ.એચ. કોમર્સ કૉલેજ ફૉર વિમેન ખાતે આયોજિત અનુવાદ અંગેના રાજ્યકક્ષાના સેમિનારમાં બોલતાં ડૉ. દર્શનાબેને જણાવ્યું હતું.
આજે એમ.પી. આર્ટ્સ એન્ડ એમ.એચ. કોમર્સ કૉલેજ ફૉર વિમેન ખાતે આયોજિત અનુવાદ અંગેના રાજ્યકક્ષાના સેમિનારમાં ડૉ. દર્શનાબેન ઉપરાંત ડૉ. મીનલબેન દવે તથા ડૉ. અરવિંદ ભાંડારીએ પણ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને અનુવાદ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
કૉલેજના ઇન્ટર્નલ ક્વોલિટી અશ્યોરન્સ સેલ તથા ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ પરિસંવાદનો હેતુ વિવિધ ભાષાના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓને અનુવાદની શાસ્ત્રીય પદ્ધતિથી વાકેફ કરીને તેને અભ્યાસક્રમ સાથે સરળતાથી સંકલિત કરવાનો, અનુવાદ દ્વારા જ્ઞાન જગતની સિદ્ધિઓ તેમજ કલાકૃતિઓનું આદાનપ્રદાન ઝડપી બનાવવાનો તથા ભારત જેવા બહુભાષી, બહુ સાંસ્કૃતિક દેશને એક કરવામાં અનુવાદની કડીરૂપ ભૂમિકા વિશે વિમર્શ કરવાનો હતો.
આ પરિસંવાદમાં માર્ગદર્શન આપતાં સુવિખ્યાત લેખિકા અને અનુવાદક ડૉ. મીનલબેન દવેએ “અનુવાદ અને સામાજિક સંદર્ભ” વિષય ઉપર વક્તવ્યની શરૂઆતમાં મહિપતરામ રૂપરામના એક પુત્રના પત્ની શ્રૃંગારગૌરીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, શ્રૃંગારગૌરીનું 16 વર્ષની ઉંમરે તો અવસાન થઈ ગયું હતું પરંતુ એ 9-10 વર્ષની ઉંમરે પરણીને આવ્યા હશે ત્યારબાદ સસરા મહિપતરામ રૂપરામે તેમને અહીં ભણવા મૂક્યા હતા. એ દરમિયાન તેમને અંગ્રેજી શીખવાડ્યું અને અંગ્રેજીની નાની નાની વાર્તાઓના અનુવાદ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ “શ્રૃંગારની કહાનીઓ” નામે નાની પચાસેક પાનાની પુસ્તિકા પ્રકાશિત થઈ હતી. એ પુસ્તિકામાં 16 વાર્તાઓનો અનુવાદ ઉપલબ્ધ છે. આ વાત જાણીને કૉલેજના આચાર્ય ડૉ. ભારતીબેન દવે સહિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા. આ પછી મીનલબેને અનુવાદના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું કે, અનુવાદને કારણે જ આજે આપણે રામાયણ, મહાભારત જેવા ગ્રંથોનો આપણને પરિચય ન થાત. બધા લોકો સંસ્કૃત વાંચી શકતા નથી, પરંતુ આ મહાન ગ્રંથોના અનુવાદ થયા એ બધા સુધી પહોંચી શક્યા. અનુવાદ આપણી જિંદગી વણાયેલી બાબત છે તેમ તેમણે વિવિધ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું.








