અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ફરી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 29મી મેના રોજ ગુજરાતમાં મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો હતો પણ ત્યારબાદ વહિવટીકારણોસર સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે આવતી કાલે તા.31મીને શનિવારે મોકડ્રીલ યોજાશે.
કેન્દ્ર સરકારના આદેશથી ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલે તારીખ 31 મે 2025ના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન થશે. પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ‘ઓપરેશન શિલ્ડ’ મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે.
આ અગાઉ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 29 મે 2025ના રોજ મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ આ એક્સસાઇઝ વહીવટી કારણોસર મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ ફરીવાર નવી તારીખની જાહેરાત કરી દેવાઈ છે.આવતી કાલે ગુજરાતમાં મોકડ્રીલ યોજવામાં આવશે, જેના માટે સરકાર દ્વારા જિલ્લા કલેકટરોને સુચના આપી દેવામાં આવી છે.