અમદાવાદઃ રાજ્યમાં એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે. તેમજ કેટલીક એસટી બસોના કિલોમીટર પુરા થતાં જર્જરિત બસો સેવામાંથી પરત ખેંચવામાં આવી રહી છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા રૂપિયા 400 કરોડના ખર્ચે નવી અને આધુનિક બસો ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આગામી ચાર મહિનામાં એટલે કે દિવાળી સુધીમાં 1200 નવી બસો ખરીદવામાં આવશે.

રાજ્યના વાહનવ્યવહાર વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત એસટી નિગમ દ્વારા આગામી ચાર માસમાં 1200 નવી બસ ખરીદશે. આ 1200 બસ પૈકી 100 બસ પ્રિમિયમ કેટેગરીની હશે..  આ બસોની ખરીદી માટે વાહનવ્યવહાર વિભાગ રૂ.400 કરોડ ખર્ચશે. આધુનિક સુવિધાઓ ધરાવતી આ બસોની ખરીદીથી પ્રવાસીઓને વધુ લાભ મળશે. છેલ્લા 14 માસમાં વાહનવ્યવહાર વિભાગે 2,987 નવીન બસો પ્રજાની સેવામાં કાર્યરત કરી છે અને હજુ વધુ આધુનિક સુવિધા ધરાવતી નવીન બસો ખરીદવા ક્વાયત હાથ ધરી છે.

પ્રવાસીઓને આધુનિક સગવડવાળી બસ ઉપલબ્ધ કરાવવા સરકાર દર મહિને 200 નવી બસ એટલે કે દરરોજ છ નવી બસ રોડ પર મુકે છે. મહત્વનું છે કે જાહેર પરિવહન ક્ષેત્રે આધુનિક સુવિધાવાળી બસો મળતી થતાં એસટી નો લાભ લેનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. અગાઉ દૈનિક 25 લાખ મુસાફરો GSRTCની બસોનો લાભ લેતા હતા પણ બસો આધુનિક અને સુવિધાજનક બનતા તે સંખ્યા વધીને હવે દૈનિક 27 લાખ પર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here