ગાંધીનગરઃ ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. 7 મે, 2025ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે ગુરુવારે ગુજરાતભરમાં સાંજે 5થી 8 વાગ્યા સુધી મોકડ્રિલ યોજાશે. આ બાબતે જિલ્લા કલેક્ટર સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી બેઠક પણ યોજાઈ હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.
ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ આવતીકાલ તા. 29 મે, ગુરુવારના રોજ સાંજે 5.૦૦ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોકડ્રીલનું આયોજન થશે.
ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આજે ગુજરાતના તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. સાથે જ, તેમણે મોકડ્રીલના સફળ અમલીકરણ માટે તમામ જિલ્લા કલેકટરશ્રીઓને જરુરી સૂચનાઓ પણ આપી હતી.