(અલકેશ પટેલ) અમદાવાદ, 2 ડિસેમ્બર, 2025: The book lovers of Gujarat ગુજરાતીઓ મૂળભૂત રીતે વેપારી માનસ ધરાવે છે તેથી અહીં સાહિત્ય-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અન્ય કેટલાંક રાજ્યો જેટલી થતી નથી એવી સર્વસામાન્ય છાપ હંમેશાં રહી છે. તેમાં તથ્ય પણ છે. ગુજરાતી સાહિત્યકારો સર્જન તો કરે છે પરંતુ પછી તેમનાં સર્જનને પ્રજા સુધી લઈ જઈને, પ્રજાને તેમાં ઈન્વોલ્વ રાખવાની બાબતમાં ઉપેક્ષા કરે છે અથવા ખાસ રસ લેતા નથી, સિવાય કે તેમનું માન-સન્માન કરીને બોલાવવામાં આવે.
આ સંદર્ભમાં એવું કહેવામાં કશું ખોટું નથી કે, રાજ્યમાં પુસ્તકની પ્રવૃત્તિને બે પ્રકારના લોકો સતત ગતિશીલ રાખે છેઃ એક, પુસ્તક પ્રકાશકો અને બે, પુસ્તકના એવા રસિયા જેઓ પોતે જે કંઈ વાંચે છે તેને સમાજમાં અન્ય લોકો સુધી પહોંચાડવાની લગન લાગી જાય છે.
આજે આપણે આ બીજા પ્રકારના લોકોની વાત કરવાની છે. પણ એ પહેલા એ વ્યક્તિનો ઉલ્લેખ જેમણે ગુજરાતને વાંચતું કરવાની પહેલ કરી હતી. જેમણે ગુજરાતીઓમાં વાચન પ્રત્યે ભાવ જગાવ્યો હતો. એ વ્યક્તિ એટલે નરેન્દ્ર મોદી. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ સૌ પ્રથમ વખત 2010માં વાંચે ગુજરાતનો વિચાર વહેતો મૂક્યો હતો. અને એ સાથે વાચન રસિયાઓને, પુસ્તક રસિયાઓને તો જાણે ગોળનું ગાડું મળી ગયું હતું. તેમના માટે પોતે જે કંઈ વાંચે તે બીજાને વહેંચીને ગમતાંનો ગુલાલ કરવાની ઉમદા તક ઊભી થઈ હતી.
અનેક લોકોએ એ તક ઝડપી લીધી. મોટાભાગનાએ પોતપોતાની રીતે વાચનને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસ કર્યા. ઘણાએ પોતાની પાસે રહેલાં પુસ્તકોની લાઇબ્રેરી શરૂ કરી દીધી, તો કેટલાકે અન્ય લોકોને સામેલ કરીને વાચન પ્રવૃત્તિ વિસ્તારવાની યોજના બનાવી.








