ગાંધીનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ગુજરાત સરકારે 40 દિવસ બાદ જાગીને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.65 કરોડ લાભાર્થીઓએ 900થી વધુ ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી છે. આ યોજનાનો ઉઠેલી ફરિયાદોના કારણે આરોગ્ય વિભાગે 2024થી અત્યાર સુધીમાં આપણે 10થી વધારે હોસ્પિટલ સસ્પેન્ડ કરીને દંડની કાર્યવાહી કરી છે.
ગુજરાત સરકારે PMJAY યોજનામાં નવી SOP જાહેર કરી છે. જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ ટાઇમ કામ કરતાં સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ SOP મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવારૂપે સીડી આપવાની રહેશે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, PMJAY યોજના હેઠળ મહત્ત્વની ચાર પ્રકારની સારવાર છે તેમાં એસઓપી નક્કી કરી છે. આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિઓ થોરાસિસ્ટ સર્જન સાથે કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલટન્ટ માટે માન્યતા પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત હોસ્પિટલોને પણ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પણ આવશ્યક છે. હોસ્પિટલોને એન્જિયોપ્લાસ્ટિ સીડી બનાવવી અને આપવી પણ ફરજિયાત કરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.