ગાંધીનગરઃ ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025-26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. 69 થી રૂ. 596  પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ તેમજ ખરીફ પાકોના ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવા બદલ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે ગુજરાત સરકાર તેમજ રાજ્યના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી  શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2025-26માં  ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ.7,263  પ્રતિ ક્વિન્ટલ, કપાસ (લંબતારી) માટે રૂ. 8,110 પ્રતિ ક્વિન્ટલ., ડાંગર માટે રૂ. 2,369  પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે રૂ. 3699 પ્રતિ ક્વિન્ટલ., બાજરી માટે રૂ. 2775  પ્રતિ ક્વિન્ટલ, રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. 2400 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે રૂ. 8,000  પ્રતિ ક્વિન્ટલ,  મગ માટે રૂ. 8,768 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે રૂ. 7,800 પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન માટે રૂ. 5,328 પ્રતિ ક્વિન્ટલ તેમજ તલ પાક માટે રૂ.9,846 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ગત વર્ષની સરખામણીએ રાગી, કપાસ (લંબતારી) અને તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશ: રૂ. 596,  અને રૂ. 579નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here