ગાંધીનગરઃ કાલે તા. 7મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિન છે. ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, જેના ફળસ્વરૂપે સમગ્ર દેશમાં ગુજરાત વર્લ્ડ ક્લાસ આરોગ્ય સુવિધાઓ પૂરું પડતું રાજ્ય બન્યું છે. વધુમાં વધુ નાગરિકો ઉત્તમ આરોગ્ય સેવાઓ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના વર્ષ 2024-25ના રૂ.20,100 કરોડના બજેટમાં 16.35 ટકા જેટલો વધારો કરીને નાણાંકીય વર્ષ 2025-26માં રૂ. 23.385.33 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના સામાન્ય નાગરિકો અને છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને વિવિધ આરોગ્ય સેવાઓ મેળવવામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અનેકવિધ આયોજનબદ્ધ પગલાં લઈ રહી છે. જેના પરિણામે આગામી સમયમાં અમદાવાદ સિવિલ મેડિસીટીમાં મગજ અને નર્વ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર તેમજ સંશોધન માટે ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે. તદ્પરાંત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર અને સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ અને ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.
એક નવીન અભિગમ સાથે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર કે જીવલેણ બિમારીથી પીડાતા દર્દી જ્યારે જીંદગીના અંતિમ તબક્કામાં હોય ત્યારે તેમને સારવારની સાથે સંભાળ પણ મળે તે માટે 6 સરકારી હોસ્પિટલમાં ‘પેલિયેટીવ કેર’ વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ એમ. એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થાલ્મોલોજી અને સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ. 100 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે.
દર વર્ષેની જેમ આ વર્ષે તા. 7 એપ્રિલના રોજ “Healthy beginnings, hopeful futures” થીમ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-WHO દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આજે જ્યારે સમગ્ર વિશ્વ પોતાના નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકી રહ્યું છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ નાગરિકોને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે. રાજ્યનો કોઈપણ નાગરિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે જાન્યુઆરી-2025 સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-PHC દ્વારા અંદાજે કુલ 1.44 કરોડથી વધુ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHC દ્વારા કુલ 1.31 કરોડથી વધુ દર્દીઓને ઓપીડી થકી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના દર્દીઓને ઉચ્ચત્તમ સારવાર આપવામાં આવી રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં રક્તપિત્ત પ્રમાણદર 0.39 જેટલો જ રહ્યો છે, જે રાજ્ય સરકારની રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમના સફળતાપૂર્વક અમલીકરણ થકી નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.