“માનસ સિંદૂર” રામકથાના આજના છઠ્ઠા દિવસના સંવાદના પ્રારંભે એક શ્રોતાની જિજ્ઞાસાના સમાધાનમાં પૂજ્ય બાપુએ જણાવ્યું કે મંત્ર જાપ કરવાથી સિદ્ધિ મળે છે, પરંતુ સિદ્ધિ કરતા શુદ્ધિ મહત્વની છે. જપ કરતાં કરતાં ભીતરની ઊર્જા ઉપર ઉઠવા લાગે, તો એવે વખતે સદ્ગુરુનું સ્મરણ કરવું. કારણ કે ગુરુ પાસે ઉર્જા તત્વની સ્વીચ હોય છે, જે એને કંટ્રોલ કરી શકે છે! કોઈ પણ મંત્રની સાધના માટે ગુરુની જરૂર પડે છે.જજપ કરતાં કરતાં રોમાંચ જન્મે, દેહ પુલકિત થઇ જાય, આંખમાંથી આંસુ વહે એ સાધક માટે શુભ નિશાની છે. માળા હાથમાં થંભી જાય અને દેહ ભાવ ભૂલાઈ જાય એ તો અતિ ઉચ્ચ સ્થિતિ ગણાય. કથા સંવાદમાં આગળ વધતા પૂજ્ય બાપુએ વિષ્ણુગિરિ દાદાજીનાં સૂત્રના સંદર્ભમાં બાપુએ મોહના સંદર્ભમાં ચાર સૂત્રો આપ્યા એક, કોઈ વ્યક્તિ પ્રત્યે અનહદ મોહ જાગે તો કામ પ્રગટ થાય છે. બે, કોઈ વસ્તુમાં મોહ વધે તો ક્રોધ જન્મે છે. ત્રણ, અર્થનો – ધનનો મોહ વધી જાય તો લોભ પેદા થાય છે. ચાર, સ્થાન પ્રત્યેનો મોહ વધવાથી અહંકાર જન્મે છે. સિંદૂર-દર્શનના સંદર્ભમાં કબીરજીના પદનો અર્થ બાપુએ સમજાવ્યો. કબીરજી પોતાને રામજીની દુલ્હન માને છે અને કહે છે કે – “હે સખિઓ! મારાં લગ્નમાં મંગળ ગીત ગાઓ, કારણ કે રાજા રામ મારા ભરથાર બનીને આવ્યા છે! ભગવાન રામ મારા પતિ બને છે, તેથી હું મદમાતી બની ગઈ છું. શરીરને રસપૂર્ણ સરોવર બનાવીને મેં એને મારાં લગ્નની વેદી બનાવી છે. બ્રહ્માજી મંગળ મંત્રોનું ગાન કરી રહ્યા છે. હું ધન્ય ભાગી છું કે રામ સાથે મંગળ ફેરા ફરીશ. તેત્રીસ કરોડ દેવતાઓ અને અઠયાસી હજાર મુનીઓ આ લગ્નમાં જાનૈયા બનીને આવ્યા છે. અવિનાશી પુરુષ સાથે મારા લગ્ન થઈ રહ્યા છે! કબીરજીના પદનાં માધુર્યપૂર્ણ રસદર્શન સાથે હરિનામ સંકીર્તનનો મહિમા સમજાવતા બાપુએ કહ્યું કે “કળિયુગમાં પરમાત્માની પ્રાપ્તિનું સફળ, સહજ અને સરળ સાધન હરિ નામ છે. નામ આહાર છે. એને ખૂબ ખાઓ, ખૂબ પીવો! પળોનો આનંદ લ્યો, અવસર આવ્યો છે, તો માણી લેજો. હરિ નામનાં સ્મરણનો અભ્યાસ નહીં હોય, તો અંત સમયે રામનામ લઈ શકાતું નથી. માટે અત્યારથી જ રામ સ્મરણ કરો. કથાના ક્રમમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ જનકપુરમાં રામ લક્ષ્મણની નગરચર્યાનું વિસ્તારથી વર્ણન કર્યું. રામજી લક્ષ્મણની સાથે જનકપુરના દર્શન માટે જાય છે એનો તત્વાર્થ સમજાવતા બાપુએ જણાવ્યું કે “જીવની આંખથી જગતને જુએ, તો એમાં જીવ ખોવાઈ જઈ શકે. પણ બુદ્ધ પુરુષની આંખથી જગતને જોઈએ તો તે હૈયું ભર્યું લાગે છે. ભક્તિમાં જ્યારે બાળક જેવી નિર્દોષ આવે તો પરમાત્મા ભક્તની પાસે ખેંચાઈ આવે છે. જ્ઞાન આવશ્ય મહત્વનું છે, પરંતુ પરમાત્માનો મૂળ પરિચય ભક્તિ દ્વારા વધુ સરળતાથી થઈ શકે છે. નગરચર્ પછી સાંજના સમયે નિવાસસ્થાને પહોંચીને રામ અને લક્ષ્મણ, રાત્રીએ વિશ્રામના સમયે વિશ્વામિત્રજીની ચરણ સેવા કરે છે. બીજા દિવસે જનકપુરની પુષ્પ વાટિકામાં સીતા રામના પૂર્વ રાગનું રસ ભર્યું છતાં મર્યાદા પૂર્ણવર્ણન કરતા પૂજ્ય બાપુએ સીતા રામના પ્રથમ મિલનનું શબ્દ ચિત્ર ખડું કર્યું. આ પ્રસંગના સંદર્ભમાં બાપુએ કહ્યું કે “જે બુદ્ધ પુરુષે પરમાત્માને જોયા હોય, એ જ આપણને પરમાત્માનાં દર્શન કરાવી શકે. શરત એટલી જ કે બુદ્ધ પુરુષના પગલે પગલે સાધકે ચાલવું જોઈએ. બાપુએ કહ્યું કે સીતાજીના પગના નૂપુર, કટી ભાગની કટિમેખલા અને હાથના કંગન રામને આકર્ષિત કરે છે. એનો અર્થ તત્વાર્થ સમજાવતા બાપુએ કહ્યું કે “પગના નુપુર એ સદાચરણ છે, કટી મેખલા સંયમનું સૂચન કરે છે અને કંગન એ સમર્પણ દર્શાવે છે. સાધકમાં સદાચરણ, સંયમ અને સમર્પણ પ્રભુ જુએ છે, તો પ્રસન્નતા અનુભવે છે. કિશોરીજી રામના રૂપને નેત્રના દરવાજેથી અંતરમાં ઉતારીને ધ્યાનસ્થ થાય છે અને ભગવાન રામ પોતાના ચિત્તના કેનવાસ પર કિશોરીજીનું ચિત્ર અંકિત કરે છે. લગ્નની વિધિ જ બાકી છે, મિલન તો થઈ ચૂક્યું છે. તત્વત: સીતારામ એક જ છે – અભિન્ન છે. આ તો પ્રભુની લીલા છે. ભગવાનના નામ,રૂપ, લીલા અને ધામ એ ચારેનો ભક્તિમાર્ગમાં મહિમા છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં વર્ણવેલો સીતારામજીનો આ પૂર્વ રાગ છે. પ્રકૃતિના પ્રત્યેક અંગને નિમિત બનાવીને સીતાજી અહીં રામ દર્શન કરે છે, એ દિવ્ય દર્શન છે. ત્યાર પછી જાનકીજી, મા ભવાનીની સ્તુતિ કરે છે. ભવાનીની મૂર્તિ બોલે છે, સ્મિત કરે છે અને સીતાજીને માળા આપે છે. આ ઘટના બુદ્ધિગમ્ય ન જણાય, પરંતુ અધ્યાત્મ માર્ગમાં આ બધું જ થવું શક્ય છે. રામ સીતાના આ દિવ્ય મિલનના દર્શન સાથે પૂજ્ય બાપુએ આજના કથા સંવાદને વિરામ આપ્યો.