ભાવનગરઃ જાણીતા કથાકાર સંત મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું ગઈ મોડી કાલે રાતે નિધન થયું હતું. જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને નર્મદાબેનએ અંતિમ શ્વાસ લીધા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે.
જાણીતા કથાકાર મોરારિબાપુનાં પત્ની નર્મદાબેને ગઈકાલે મોડીરાતે 1.30 વાગ્યે દેહત્યાગ કર્યો હતો. પૂજ્ય નર્મદામાં હરિયાણી છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં આજે સવારે 8.30 કલાકે તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી છે, સ્વ. નર્મદાબેનના નિધનના સમાચાર મળતા રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને બાપુના લાખો અનુયાયીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. 79 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારિબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેમની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવી છે. પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ પાળીને શોક વ્યક્ત કર્યો હતો.