મહેસાણા: ગુજરાતમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું જાય છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા કડીના નરસિંહપુરા ખાતે એક પેઢી પર શંકાસ્પદ કપાસીયા તેલ અને પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.  બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલનો આશરે કુલ 2300 કિ.ગ્રા.અને 1600 કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે 5.5 લાખ તથા 2.30 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા નરસિંહપુરા, તા. કડી ખાતે  રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. કેશવી ફુડ  પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવ્યુ હતુ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરના નમુનો લેવામાં આવ્યા હતા. અને પનીરનો બાકીનો 2300  કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. 5.5 લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. પનીરનો શંકાસ્પદ જથ્થો હાઈવે પરની હોટલોમાં આશરે રુ. 240 પ્રતિ કિગ્રાના દરે વેચવામાં આવતો હતો.

કડી તાલુકામાં અન્ય એક પેઢી મે. ધરતી ઈંડસ્ટ્રીઝ, મુ. તા. કડી જી. મહેસાણા  ખાતે તેલમાં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસીયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસીયા તેલનો નમુનો લઈ 1600 કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. 2.30 લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવ્યો છે.  આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા કરવામાં આવેલા દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ  ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. (File photo)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here