અમદાવાદઃ ઉનાળાના આગમન પહેલા જ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમી અનુભવાય રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.  રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે વડોદરા અને સુરતમાં પણ તાપમાનનો પારો 34 ડિગ્રીને વટાવી ગયો છે.

ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ આ વખતે ઉનાળો વધુ આકરો રહેવાની શક્યતા છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં લોકોને એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે. આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ અરબ સાગરના ભેજને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો અનુભવ થશે. આગામી 24 કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લઘુતમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, એટલે કે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા જણાતી નથી.

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાન કેવું રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે. હજુ ફેબ્રુઆરી પૂર્ણ થયો નથી ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here