જયપુરની નીરજા મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી ચોથા ધોરણની વિદ્યાર્થીની અમાયરાની આત્મહત્યાના કેસમાં CBSEએ શાળાને દોષી ઠેરવી છે. બે સભ્યોની કમિટીના તપાસ અહેવાલ બાદ ગુરુવારે શાળાને નોટિસ પણ મોકલવામાં આવી હતી.
રિપોર્ટમાં ખુલાસો થયો કે અમાયરા ગુંડાગીરીની ફરિયાદ કરતી રહી, પરંતુ સ્કૂલે તેની અવગણના કરી. ઘટના બાદ ફોરેન્સિક તપાસ પહેલા વર્ગખંડની સફાઈ જેવા પગલા પણ લેવામાં આવ્યા હતા, જેને ગંભીર બેદરકારી ગણવામાં આવી રહી છે. આ નારાજગી વચ્ચે જોઈન્ટ પેરેન્ટ્સ એસોસિએશને 22મી નવેમ્બરે બપોરે 2 વાગ્યે શહીદ સ્મારક ખાતે મોટા વિરોધ અને કેન્ડલ માર્ચની જાહેરાત કરી છે.
અમાયરાનાં મામા સાહિલે શિક્ષણ વિભાગની તપાસ પર આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે તપાસ અધિકારીઓ વારંવાર કેસને અન્ય એંગલ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. CBSE અને વિભાગના અહેવાલો વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ છે. તેમણે કહ્યું કે તપાસ અધિકારીઓ હેલોવીન એન્ગલ ઉમેરી રહ્યા છે, જોકે આ કેસ તેની સાથે સંબંધિત નથી. સાહિલના કહેવા પ્રમાણે, અમાયરા તે સવારે સંપૂર્ણ રીતે ખુશ હતી અને શાળાની મજા પણ માણી રહી હતી.








