અમદાવાદઃ શહેરના નારોલ જંકશનથી વિશાલાને જોડતા હાઈવે પરના શાસ્ત્રીબ્રીજની એક તરફની બેરિંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક રિપેર કરવાની જરૂરિયાત હોવાથી આગામી સાત મહિના માટે આ બ્રિજને બંધ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
શહેરના વિશાલાથી નારોલ હાઈવે પરના શાસ્ત્રી બ્રિજને તાકીદે મરામત માટેની જરૂરિયાત ઊભી થતાં હાઈવે ઓથોરિટીની સુચના બાદ શાસ્ત્રી બ્રિજની મરામત માટે બ્રિજને 7 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. અને ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવશે. જેમાં નારોલ તરફથી આવતા વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરવા માટે સુચના આપવામાં આવી છે. નારોલ અને વિશાલા સર્કલને જોડતા શાસ્ત્રીબ્રીજ પરથી પ્રતિદિન હજારો વાહન પસાર થાય છે. વાહનોને ડાયવર્ટ કરવા માટે પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
શહેરના નારોલથી વિશાલા સર્કલ જતા બ્રિજની બાજુની કેટલીક બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થયાનો રિપોર્ટ હાઇવે ઓથોરીટી દ્વારા આપવામાં આવ્યો હતો.જેથી આ બ્રિજનું સમારકામ તાત્કાલિક શરૂ કરવાનું હોવાથી બ્રિજને ભારે વાહન અને પેસેન્જર વાહનો માટે બંધ કરાશે. જે અનુસંધાનમાં પોલીસ કમિશનર જી એસ મલિકે એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં 9 ઓગસ્ટ 2025થી 8 ફેબ્રુઆરી 2025 સુધી નારોલથી વિશાલા સર્કલનો જોડતો બ્રિજ બંધ રહેશે. જેથી નારોલ તરફથી આવતા વાહનો પીરાણા સર્કલથી બહેરામપુરા થઇને આંબેડકર બ્રિજથી અંજલી સર્કલથી આવી શકશે.