અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બીઆરટીએસ બસની અડફેટે વધુ એક મહિલાનો ભોગ લેવાયો છે. શહેરના કૃષ્ણનગરમાં વહેલી સવારે રસ્તો ક્રોસ કરતા નરેન્દ્રભાઈ નામના વ્યક્તિને બીઆરટીએસ બસે ટક્કર મારતા તેમનું સ્થળ પર જ મોત થયું છે. અકસ્માત બાદ બીઆરટીએસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. હાલ તો સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના કૃષ્ણનગર બીઆરટીએસ બસ સ્ટેશનના ટ્રેકમાંથી નરેન્દ્રસિંઘ બત્રા રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પુરફાટ ઝડપે આવી રહેલી બીઆરટીએસ બસે નરેન્દ્રભાઈને ટક્કર મારી હતી.ટક્કર વાગતા નરેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતા જ બસનો ડ્રાઈવર બસ મુકીને નાસી ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોચી હતી. મૃતદેહને પીએમ માટે મોકલીને પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરવામાં આવશે.